ભજન,ભોજન અને ભાવનો ત્રિવિધ સંગમ કોટિયા ગૌધામ આશ્રમ

હિન્દ ન્યુઝ, ભાવનગર 

સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંતોની ભૂમિ તરીકે સમગ્ર વિશ્વના નકશા પર સુખ્યાત છે. અહીં અનેક ધાર્મિક સંસ્થાનો સેવા સંસ્કાર અને ભાવ- ભોજનથી આજે પણ ધમધમી રહ્યા છે.તેથી કવિઓએ આ ભૂમિમાં ભગવાનને ભૂલો પડવાં માટે આપણાં સાહિત્યમાં કહેવામાં આવ્યું છે.

મહુવા તાલુકાના કોટિયા ગામની ડુંગરમાળાઓમાં નયનરમ્ય સ્થળ પૂ. લહેરગીરીબાપુએ વિકસિત કરેલું સ્થળ એટલે ગુરુદત આશ્રમ કોટિયા ગોધામ….પાલીતાણાના ઠાડચથી કુંઢડા થઈને લગભગ ૧૦ કિલોમીટરના અંતરે આવેલું ગીરીકંદરાઓની રમણીય આ અનોખું સ્થળ શ્રાવણ મહિનામાં વિશેષ દર્શનનીય બને છે.

દર વર્ષે અહીંના સ્થાનાપતિ અને મહંત પુ.લહેરગીરીબાપુ ગુરુ શ્રી મોહનગીરીબાપુ દ્વારા શ્રાવણ મહિનામાંના દર સોમવારે સવા લાખ મહામૃત્યુંજયના જાપ વેદોક્ત મંત્રોચ્ચારથી કરાવવામાં આવે છે. એટલું જ નહીં તળાજા, મહુવા,પાલીતાણા અને સમગ્ર ભાવનગર જિલ્લાના ભાવિક ભક્તો મહારુદ્ર યજ્ઞમાં આહુતિ આપવાનું શ્રેય મેળવવાં આ સ્થળે ત્યારે અચૂક આવે છે.

મહંતશ્રી લહેરગીરી બાપુએ કહ્યું કે, આ સ્થળમાં પ્રકૃતિ, સંસ્કૃતિ અને ધર્મને જાળવવા માટે અમે મથામણ કરી રહ્યાં છીએ અને વિશ્વ શાંતિ અને લોક કલ્યાણ માટે દર સોમવારે મહારુદ્રનું આયોજન કરવામાં આવે છે. એ જ રીતે આપણાં શિવસ્ત્રોતનો મહામંત્ર મહામૃત્યુંજય મંત્રજાપ સવા લાખ જપવામાં આવે છે.

રાત્રિના લોકડાયરાના કલાકારો પોતાની વાણીને પવિત્ર કરવા માટે અહીં આવતા હોય છે.લમ્પી વાયરસથી આપણું ગૌધન બચી જાય તે માટે પણ અમે કાર્યરત છીએ.

આ ગુરુદત આશ્રમની મુલાકાત લેતાં અહીં ગૌસેવાનું પણ એટલું સુંદર મજાનું કામ થતું જણાય છે. આગામી દિવસોમાં આર્ય કન્યા ગુરુકુળની સ્થાપના કરીને દીકરી તથા દિકરાઓને વેદ અને ઉપનિષદનું શિક્ષણ આપવાં માટે પૂ. લહેરગીરી બાપુએ પોતાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.દિકરીઓને વિશેષ સવલતો મળે તેવો પણ તેમનો પ્રયાસ રહેશે.

ભજન, ભોજન અને ભાવથી ભરપૂર આ આશ્રમ અનેક આબાલ વૃદ્ધોને ભાવથી ભોજનનો પણ સેવાલાભ આપે છે. અહીં અન્નક્ષેત્ર પણ શરું રાખવામાં આવે છે. આ સ્થળે આગામી દિવસોમાં ૧૦૮ ફૂટ ઊંચાઈ ધરાવતી શિવ પ્રતિમા સ્થાપિત કરીને આ સ્થળને વધુ ઉર્જા આપવા માટેનો પ્રકલ્પ જાહેર કરવામાં આવ્યો છે.

અહીં એક નાવિન્યપૂર્ણ બાબત એ જોવાં મળે છે કે, લહેરગીરીબાપુએ ધર્મ સાથે રાષ્ટ્રભક્તિને પણ જોડી છે. નજીકના કુંઢડા ગામે તે ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. ચાલુ વર્ષે તેઓ ’હર ઘર તિરંગા’ અભિયાનમાં પણ જોડાયાં હતાં અને આશ્રમની યજ્ઞશાળા પર રાષ્ટ્રધ્વજ તિરંગો ફરકાવ્યો હતો.

અત્યાર સુધીમાં કલાકારો સર્વ માયાભાઈ આહીર, લખમણ બારોટ,બીરજુ બારોટ, સાગરદાન ગઢવી, દેવરાજ ગઢવીએ વગેરે આશ્રમમાં પોતાની વાણી પવિત્ર કરી ગયાં છે. હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ આ આશ્રમની મુલાકાતે દર્શને આવે છે.

બ્યુરો ચીફ (ભાવનગર) : ડો. હકીમ ઝવેરી

Related posts

Leave a Comment